07, નવેમ્બર 2024
ગાંધીનગર, ગ્લોબલ વોર્મિંગના પરિણામે ગુજરાત જ નહીં દેશ અને વિશ્વના વાતાવરણમાં અનેક બદલાવો જાેવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરાઇ છે. દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતરની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના ખેતી નિયામક દ્વારા રવિ પાકને લઈને એક વિશેષ એડવાઈઝરી પ્રસિદ્ધ કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જાેઈએ. એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ખેડૂતોએ રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જાેઈએ. આ અગમચેતીના પગલાંને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની મેઘદૂત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે.