16, મે 2025
ભૂજ, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લીધી છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે વાત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં કહ્યું કે હું અહીં એક વધુ વાત સ્પષ્ટ કરવા માગું છું. ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. જે કંઈ થયું તે ફક્ત ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે સંપૂર્ણ ચિત્ર પણ બતાવીશું.
તમને જણાવી દઈએ કે ભૂજ એરબેઝ ભારતના તે કેન્દ્રોમાંથી એક હતું, જેને ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એરબેઝ પર વાયુસેનાના યોદ્ધાઓને સંબોધિત કર્યા હતા. રાજનાથ સિંહ સાથે વાયુસેનાના વડા એર માર્શલ એ.પી. સિંહ પણ પહોંચ્યા હતાં. રાજનાથ સિંહે પહેલગામમાં માર્યા ગયેલા તમામ નિર્દોષ નાગરિકો અને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે મને આપણા દેશના મજબૂત હાથ ભૂજમાં તમારા બધાની વચ્ચે રહીને ખૂબ ગર્વ છે. આ ભૂજે ૧૯૬૫માં પાકિસ્તાન સામે આપણી જીત જાેઈ છે.
આ ભૂજે ૧૯૭૧માં પાકિસ્તાન સામે આપણી જીત જાેઈ છે. અને આજે ફરી એકવાર, આ ભૂજે પાકિસ્તાન સામે આપણી જીત જાેઈ છે. રાજનાથ સિંહે સૈનિકોને કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેનાથી સમગ્ર દેશ ગર્વથી ભરાઈ ગયો છે. ભારતીય વાયુસેના માટે, પાકિસ્તાની ધરતી પર ઉગતા આતંકના અજગરને કચડી નાખવા માટે માત્ર ૨૩ મિનિટ પૂરતી હતી. જાે હું એમ કહું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોનો નાશ કરી દીધો તો ખોટું નહીં હોય. દુશ્મનના પ્રદેશમાં તમે છોડેલી મિસાઇલોનો પડઘો આખી દુનિયાએ સાંભળ્યો. અને હકીકતમાં તે પડઘો ફક્ત મિસાઇલનો નહોતો, તે પડઘો તમારી બહાદુરી અને ભારતની વીરતાનો હતો. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની માત્ર આ દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.