26, મે 2025
વડોદરા |
પાકિસ્તાનના આતંકિસ્તાન પર ભારતીય સેનાના ઓપોરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વખત વડોદરા આવ્યા હતા. દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જતાં પહેલ નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા વડોદરા એરપોર્ટ આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ, સાંઢવી સહિત શહેરના ભાજપના હોદ્દેદારો દ્વારા તેમને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ વડોદરાના જૂના એરપોર્ટથી નીકળી વાયુ સેનાના બેઇઝ સુધી રોડ શો કરાયો હતો. કેસરી રંગની કોટીમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે શહેરની હજારો મહિલાઓ રસ્તા પર વહેલી સવારથી જ જોવા મળી હતી.





વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીના પ્રવાસે છે. ત્યારે દાહોદ જતાં પહેલ તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આજે સવારે વડોદરાના જૂના એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.
કર્નલ સોફિયા તેમજ સેનાના શહીદ જવાનના પરિવાર યાત્રામાં જોડાયા
વડોદરામાં પીએમ મોદીનું સ્વાગત-સન્માન કરવા યોજાયેલી સિંદુર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો પણ જોડાય હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ યાત્રામાં જોવા મળ્યા હતા. તે ઉપરાંત શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધન રાઠવા, સ્વ. તુલસી બારિઆ, સ્વ. દીવાકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નિરવ સોનીના પરિવાજનો સિંદુર સન્માન યાત્રામાં જોડાય હતા.