અમદાવાદ-

શહેરમાં હત્યાની ઘટનાનો ગ્રાફ ઉંચો જતો જાય છે. ત્યારે શહેર કોટડા વિસ્તારના મેમેકો બ્રિજ નીચેથી યુવકનો તીક્ષ્ણ હથિયારના બે ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. મૃતક રામલખનસિંહ ભદોરીયા મૂળ ઉત્તરપ્રદેશનો છે અને છેલ્લા કેટલાક દિવસોથી બહેનના ઘરે બાપુનગર ખાતે રહેતો હતો. તે માનસિક અસ્થિર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. આ જાણાી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસમાં મૃતક અહીં આવ્યો ત્યારે તેની કોઈ સાથે અનેક સમય સુધી ઝપાઝપી થઈ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. અહીં પડેલો બ્લોક પણ તેને વાગ્યો હતો. પણ બાદમાં ઝપાઝપી ચાલુ રહેતા શખ્સોએ હથિયારના ઘા મારી મર્ડર કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને આધારે પોલીસે કેટલાક શંકાસ્પદની ધરપકડ પણ કરી હતી. 

પોલીસે પુરાવા ભેગા કરીને 5 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી 2 આરોપી તો સગીર વયના છે. સમગ્ર મામલામાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ બ્રિજ નીચે જમવા બેઠા હતા ત્યારે આ મૃતક તેમની પાસે સૂતો હતો. તેવામાં આરોપીઓ અપશબ્દો બોલતાં હતા જેથી મૃતકે તેમને ઠપકો આપતાં રોષે ભરાઈ યુવકોએ તેમની હત્યા કરી દીધી રહતી. આરોપીને ટોકતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને મૃતકને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન એક આરોપીએ છરી કાઢીને મૃતકને મારી હતી. જેથી મૃતકનું સ્થળ પર જ મોત થયું હતું. હાલ તમામ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.