રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાનો સમય સવારના આઠ વાગ્યાનો રાખવા સૂચના
22, જાન્યુઆરી 2023

રાજકોટ, રાજકોટ શહેરમાં ઠંડીનો પારો યથાવત રહેતા વધુ એક સપ્તાહ શાળાનો સમય ૮ વાગ્યાનો રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. હજુ પણ આગામી એક સપ્તાહ એટલે કે ૨૭ જાન્યુઆરી સુધી રાજકોટ શહેરની તમામ શાળાઓ સવારે ૮ વાગ્યા પછી જ શરૂ કરી શકાશે. સાથે જ કડક અમલવારી અંગે અલગ અલગ ટીમ દ્વારા ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ઠંડી વધતા શાળાનો સમય સવારે ૮ વાગ્યાનો રાખવા સૂચના આપવામાં આવી હતી જે આજે ૨૧ તારીખે અવધિ પુરી થાય છે. પરંતુ રાજકોટ શહેરમાં ઠંડી હજુ યથાવત છે અને આગામી સપ્તાહ દરમિયાન તેમાં વધઘટ થવાની શક્યતા છે. જેને લઈને તકેદારીનાં ભાગરૂપે વધુ એક સપ્તાહ સુધી એટલે કે આગામી ૨૭ જાન્યુઆરી સુધી શાળાનો સમય મોડો રાખવાનો ર્નિણય લેવાયો છે. ૨૭ જાન્યુઆરી બાદ આ અંગે નવો આદેશ જાહેર કરવામાં આવશે પરંતુ ૨૭ તારીખ સુધી શાળા સવારે ૮ વાગ્યે શરૂ કરવા તમામ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. શાળાના સમયમાં બદલાવ કરવા સૂચના આપ્યા બાદ શાળાઓ તેનું અમલ કરે છે કે કેમ તે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની ટિમ દ્વારા રોજ અલગ અલગ શાળામાં જય ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે હજુ પણ યથાવત રાખવામાં આવશે અને જે શાળા અમલ નહિ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેરના ગોંડલ રોડ પર આવેલ એ.વી.જસાણી સ્કૂલ ખાતે ધોરણ ૮માં ભણતી છાત્રાનું શાળાની અંદર ધ્રુજારી ઉપડ્યા બાદ મોત નિપજ્યું હતું. જે બાદ ડ્ઢઈર્ં દ્વારા સપ્તાહ સુધી તમામ શાળાઓનો સમય ૮ વાગ્યા પછીનો કરવા સૂચના અપાઈ હતી. જાેકે ઠંડીનો પારો હજુ યથાવત રહેતા આ આદેશને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution