રાજકોટ-

નાનામૌવા રોડ પર આવેલા શિવમ પાર્ક-2માં પિતા-પૂત્ર અને પૂત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતા કમલેશ લાબડિયાએ પોતાના પુત્ર અને પુત્રીને પહેલા દવા પીવડાવી હતી. ત્યારબાદ તેમણે પોતે પણ ઝેર પી લીધું હતું. જોકે, આ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા અંગેની એક સ્યુસાઈડ નોટ પણ પોલીસને ઘટનાસ્થળેથી મળી આવી હતી, જેમાં વકીલ સહિત અનેક નામ લખેલા હતા. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં પરિવાર સાથે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનારા કમલેશ લાબડિયાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આત્મહત્યાનું કારણ આર. ડી. વોરા અને દિલીપ કોરાટ છે. આ બંને લોકોએ મારું મકાન લઈને ત્યારબાદ મારી પર 65 લાખ રૂપિયાનો ખોટો આક્ષેપ મૂક્યો છે. જ્યારે હવે મારી પાસે પૈસા પણ નથી અને મકાન અને કારના હપ્તા વધી ગયા છે. હવે કોરોના કાળમાં મારી પાસે કામ ન હોવાથી આ પગલું લેવું પડે છે. જોકે, સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટમાં જે નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.