ગાંધીનગર-

CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે. 

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, તારીખ 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ કોવિડ હૉસ્પિટલો જ્યાં આ વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, ઇલેક્ટ્રિસિટી બેકઅપ તૈયર કરી લે. તમામ હૉસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વીજકંપનીઓનાં કર્મચારીઓની 661 ટીમ ગોઢવવામાં આવી છે. આ સાથે પાવર બેકઅપ આશરે 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યાં છે. એક મિનિટ પણ કોઇપણ હૉસ્પિટલ પાવર વગર ન રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.