28, એપ્રીલ 2021
વડોદરા સાથે આભડછેટ રાખતી સરકાર સામે ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓએ ઓક્સિજનના જથ્થા મામલે સામૂહિક સ્વર ઉઠાવતાં જ હજુ ગઈકાલે ‘વડોદરાને ઓક્સિજનના ક્વોટામાં ઘટ નહીં પડે’ એવું અભયવચન આપનાર મુખ્યમંત્રી રૂપાણીના વચનનો આજે જ ફિયાસ્કો થયો હતો અને પ્રતિદિન ૧૬૦ મેટ્રિક ટન ઓક્સિજનના જથ્થા સામે આજે વડોદરાને માત્ર ૧૪૫ ટન ઓક્સિજન મળ્યોે હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું છે. આ રીતે આજે ૧૫ ટન ઓછો જથ્થો મળતાં અને ‘બફર સ્ટોક’ પણ તળિયાઝાટક થઈ ગયો હોવાથી આગામી એકાદ-બે દિવસમાં વડોદરાએ ભયાવહ સ્થિતિનો સામનો કરવો પડે એવા સંજાેગોના નિર્માણ થવાની શક્યતા જાણકારો દ્વારા દર્શાવાઈ છે. અત્યંત આધારભૂત સાધનોએ જણાવ્યું છે કે, ભલે રાજ્યમંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત શહેર-જિલ્લાના તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને સ્વયં મુખ્યમંત્રીએ ખાતરી આપી હોય, પરંતુ ખાતરીના બીજા જ દિવસે વડોદરાને ૧૫ ટન ઓછો ઓક્સિજન મળ્યો છે. જાે વડોદરાને પૂરતા પ્રમાણમાં અને પ્રતિદિન વિનાવિક્ષેપ ઓક્સિજન નહીં મળે તો વડોદરાવાસીઓને કમોતે મરવાના હાલ પર છોડી દેવાની નોબત આવશે એવી ગંભીર ચેતવણી ઉચ્ચારાઈ છે.