10, મે 2025
મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ચાહકોને એક મોટા સારા સમાચાર આપી શકે છે. હકીકતમાં બીસીસીઆઇ ભારતમાં 2025-2027 ચક્રની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે અને આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પણ પછીથી આઇસીસીને મોકલવામાં આવશે. ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં 2021 અને 2023 માં બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ મેચનું આયોજન કર્યું છે. આવી સ્થિતિમાં, ઘણા ક્રિકેટ ચાહકો ઇચ્છે છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઇંગ્લેન્ડમાં નહીં પરંતુ કોઈ અન્ય દેશમાં યોજવામાં આવે અથવા ભારત પણ આ ફાઇનલનું આયોજન કરી શકે. ગયા મહિને ઝિમ્બાબ્વેમાં આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી દરમિયાન આ સંદર્ભમાં ચર્ચા થઈ હતી, જ્યાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ આઈપીએલના ચેરમેન અરુણ ધુમલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2024 માં ગ્રેગ બાર્કલે પાસેથી પદભાર સંભાળ્યા બાદ બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ જય શાહ વર્તમાન આઇસીસી પ્રમુખ છે. આ બાબત સાથે સંકળાયેલા એક સૂત્રએ સંકેત આપ્યો, "જો ભારત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચે છે, તો તે ચાહકો માટે એક મહાન ભેટ હશે. અન્યથા (જો ભારત ફાઇનલમાં નહીં રમે), તો પણ બે અન્ય ટોચની ટીમો વચ્ચેની મેચમાં ઘણો રસ હશે." આ સાથે જ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જણાવ્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓએ તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, "તેમણે પોતાનું મન બનાવી લીધું છે અને બોર્ડને જાણ કરી દીધી છે કે તેઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. બીસીસીઆઈએ તેમને ઇંગ્લેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ આવી રહ્યો હોવાથી પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી."