દિલ્હી-

દેશમાં યુકેના કોરોના વાયરસના કેસો 29 સુધી પહોંચી ગયા છે. ગઈકાલે આવા 25 કેસ નોંધાયા હતા. શુક્રવારે ચાર નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 3 નવા કેસ નિમહાન્સ, બેંગાલુરુની લેબમાં અને એક નવો કેસ સીસીએમબી હૈદરાબાદમાં મળી આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં બ્રિટનથી દિલ્હી પરત આવેલા ચાર લોકોને કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ચેપ લાગ્યો હતો. ગુરુવારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આ માહિતી આપી હતી. પત્રકારો સાથે વાત કરતાં જૈને જણાવ્યું હતું કે બ્રિટનથી દિલ્હી આવેલા કુલ  38 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે અને તેમને લોક નાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલ સંકુલમાં એક અલગ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

યુકેથી પાછા ફરતા ઘણા લોકોએ ખોટું અથવા અધૂરું સરનામું અને મોબાઈલ નંબર આપ્યો છે, જેના કારણે તેમને શોધવાનું મુશ્કેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે 25 નવેમ્બરથી આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચનારા લગભગ 14,000 મુસાફરોમાંથી 3900 થી વધુ મુસાફરોએ દિલ્હીનું સરનામું આપ્યું છે. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઘણા કેસોમાં, જિલ્લા કક્ષાની ટીમો યુકેથી પરત ફરનાર વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા સરનામાં અથવા મોબાઇલ નંબરથી તેનો પત્તો શોધી શકતી નથી, કારણ કે આ વિગતો અપૂર્ણ છે. શક્ય તેટલું વહેલી તકે તેમને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ” દિલ્હીમાં, બ્રિટનથી પરત ફરનારા લોકોને શોધી કાઢવા અને તેમની તપાસ માટે જિલ્લા કક્ષાએ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.