ઓડિશામાં પૂરનાં પ્રકોપથી બાલાસોર જિલ્લાના ૫૦ ગામો સંપર્કવિહોણાં
22, જુન 2025 2079   |  


બાલાસોર, ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. ઝારખંડના ચાંદિલ ડેમમાંથી અચાનક પાણી છોડવાથી બાલાસોરના ચાર બ્લોક એટલે કે બાલિયાપાલ, ભોગરાઈ, બસ્તા અને જલેશ્વરમાં પાણી ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગામડા ડૂબી ગયા છે.૫૦,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે. શનિવારે પૂરના પાણીમાં વહી જતાં એક યુવાન ગુમ થયો; બચાવ ટીમો તેના માટે શોધ કામગીરી ચલાવી રહી છે. રવિવારે સુબર્ણરેખા નદીના પાણીના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો છે, જેના કારણે પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ૧૦ વાગ્યે રાજઘાટ ખાતે નદીનું પાણીનું સ્તર ૯.૯૪ મીટર નોંધાયું હતું, જે ૧૦.૩૬ મીટરના ભયના નિશાનથી થોડું નીચે હતું. જાેકે, શનિવારે નદીનું પાણીનું સ્તર ૧૧ મીટરથી વધુ પહોંચી ગયું હતું, જેના કારણે ઘણા ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ કપાઈ ગયા છે. બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીએ ઝારખંડના અધિકારીઓ પર પૂર્વ સૂચના વિના ડેમમાંથી પાણી છોડવાનો આરોપ લગાવ્યો છે અને તેને ગુનાહિત બેદરકારી ગણાવી છે. તેમણે કહ્યું કે આના કારણે અચાનક પૂર આવ્યું, જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોવાથી હોડીઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે રાહત કામગીરી માટે ૫ ફાયર બ્રિગેડ ટીમો, ૩ ઓડીઆરએફ ટીમો અને ૧ એનડીઆરએફ ટીમ તૈનાત કરી છે. લોકોને હોડીઓની મદદથી સલામત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘણા અસરગ્રસ્ત ગામોના લોકોએ હવે નદી કિનારે બંધો પર આશ્રય લીધો છે, જ્યાં તેઓ પ્લાસ્ટિકની ચાદર નીચે કામચલાઉ ધોરણે રહી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution