નર્મદા-

નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 95 ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે, જેથી 29 મી સપ્ટેમ્બરે સવારે 7 વાગે કરજણ જળાશયની સપાટી 115.30 મીટર નોંધાઇ હતી.કરજણ જળાશયમાંથી અંદાજે 1.61 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 9 ગેટ 3 મીટર ઉંચા ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ 29 મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ કરજણ જળાશયની સપાટી 115.30 મીટર છે જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 97.28 ટકા, પાણીની આવક 21,418 ક્યુસેક અને રેડીયલ ગેટ નંબર 2,4,6 અને 8 એમ કુલ 4 ગેટ 1.4 મીટર ખુલ્લા રાખીને કરજણ જળાશયમાંથી 31,568 ક્યુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી 350 ક્યુસેક સહિત કુલ 31,918 ક્યુસેક પાણીનું રૂલ લેવલ 114.95 મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે.

કરજણ બંધના 2 પેનસ્ટોક આધારિત સ્મોલ હાઈડ્રોપાવર સ્ટેશન 3 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.કરજણ જળાશયમાંથી સરેરાશ 350 ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિ દિન 72 હજાર યુનિટ વિજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોવાની સાથે ચાલુ વર્ષે અંદાજે 10 થી વધુ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું હતું.