પંચમહાલ-

યુવાનીમાં ડગ માંડતાં કેટલીકવાર છોકરા-છોકરીઓ કથિત પ્રેમ અને શારીરીક સંબંધોની જાળમાં એવી કફોડી રીતે ફસાઈ જાય છે, કે તેમાંથી બહાર આવવાનો તેમને પોતાને જ રસ્તો જડતો નથી હોતો. પંચમહાલમાં આવી જ રીતે એક યુવાન સાથે શારીરીક સંબંધ બાંધીને તરછોડી દેવાયેલી કોલેજીયન યુવતીએ આખરે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કરવાનો વારો આવ્યો હતો ત્યારે તેના પરીવાર પર માનો કે આભ તૂટી પડ્યું હતું.

કાલોલના શક્તિપુરા પાસેથી વહેતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વિદ્યાર્થીનીની લાશ મળી આવી હતી. આ બાબતે તપાસ કરતાં યુવતી હાલોલના કોપરેજ ગામની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવતીએ પોતાના માતા-પિતાને સાત પાનાની સ્યુસાઈડ નોટ લખીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. 

વિગત એવી જાણવા મળી છે કે, આ યુવતી એમ એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને જ્યારે ઈન્ટર્નશીપ માટે બહાર ગઈ ત્યારે તેને તેના જ ગામના એક યુવાન સાથે પ્રેમ સંબંધ થયો હતો. ત્યારબાદ તે ગામ આવતાં તેને લાગ્યું હતું કે, યુવકને ગામની જ અન્ય યુવતી સાથે સંબંધ પણ હતો. ત્યાં સુધી કે તેણે તેના ફોન લેવાના પણ બંધ કરી દીધા હતા. યુવતીએ પોતાના મા-બાપને સ્યુસાઈડનોટમાં લખ્યું છે કે, યુવકે અનેકવાર શારીરીક સંબંધ ભોગવીને તેને તરછોડી દીધી હતી અને હવે ફોન પર પણ બ્લોક કરી દેતાં તેનું જીવવું તેને અસહ્ય લાગ્યું હતું. આખરે તેણે કેનાલમાં ઝંપલાવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું. 

કાલોલ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.