હાઈપરટેન્શનના ઇલાજ માટે વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના ચોખા ઉગાડ્યા છે. જે માત્ર એક ચમચી જેટલાં રોજ ખાવામાં આવે તો તે કોઈ પણ જાતની આડઅસર વિના હાઈપરટેન્શનને નિયંત્રણમાં રાખે છે!


હાઈપરટેન્શનને બહુ ધ્યાનમાં ન લેવાતાં ગંભીર સમસ્યાઓ ઉદભવવાની શકયતાઓ


 

લોકો હાઈ બ્લડપ્રેશર કે હાઈપરટેન્શનને બહુ ધ્યાનમાં નથી લેતાં, એને અવગણે છે. બીપી હોવું એ એમને માટે બહુ નોર્મલ વાત લાગે છે, પરંતુ લાંબા સમય સુધી આ બીમારી પર ધ્યાન આપવામાં ન આવે તો તેને લગતી ગંભીર સમસ્યાઓ ઉદભવવાની તમામ શક્યતાઓ છે. બેઠાડું જીવન અને જંકફૂડથી માંડીને તળેલો તેમજ અનિયમિત ખોરાક હાઈપરટેન્શન જેવી બિમારીને નોતરે છે. જે લોકો આ બીમારી ધરાવે છે, એમના રોજિંદા ખોરાકમાંથી અમુક ખાદ્ય પદાર્થ જેવા કે વધુ પડતા નમકવાળો ખોરાક, કેફીન એટલે કે ચા, કોફી, ઠંડા પીણાં, એનર્જી ડ્રીંક, સાકર યુક્ત પદાર્થ અને ખાસ કરીને ઊંચું સ્ટાર્ચનું પ્રમાણ ધરાવતું અનાજ ચોખા વગેરે ખાદ્ય પદાર્થની દર્દીના ખોરાકમાંથી બાદબાકી કરી દેવામાં આવે છે.


વૈજ્ઞાનિકોની એ ચોખાના અલગ પ્રકારની શોધ કરી


વૈજ્ઞાનિકોએ એક એવા ચોખાના પ્રકારની શોધ કરી છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં ઘણા ઉપયોગી થઈ રહેશે. માત્ર એક ચમચી જેટલા ભાત તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખશે! તે પણ કોઈ પણ જાતની વધુ પડતી આડ અસર વગર!

‘એસીએસ જર્નલ ઓફ એગ્રિકલ્ચરલ એન્ડ ફુડ કેમેસ્ટ્રી’ના અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકો દ્વારા એક ખાસ પ્રકારના ટ્રાન્સજેનિક ચોખા ઉગાડવામાં આવ્યા છે. જેમાં અનેક જાતના એન્ટી હાઈપરટેન્શન પેપ્ટાઇડ્‌સ ઉમેરવામાં આવ્યા છે. હાઈપરટેન્શન માટે લેવાતી દવાઓની આડ અસર કરતાં આ ચોખામાં આડ અસરનું પ્રમાણ ઘણું ઓછું છે.

હાઇપરટેન્શનના દર્દીઓને અપાતી દવાઓમાં એસીઇ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયમિત કરવા માટે જરૂરી કમ્પાઉન્ડ છે. ઉપરાંત આ કમ્પાઉન્ડ કુદરતી ખાદ્ય પદાર્થ જેવાં કે, દૂધ, લીલાં શાકભાજી, ઈંડા, માછલી અને મીટમાંથી પણ મળી રહે છે. દવાઓથી હાઇબ્લડપ્રેશર કાબૂમાં તો આવી જાય છે. પરંતુ એની આડઅસર રૂપે માથામાં દુખાવો થવો, સૂકા કફ થવા, ત્વચા પર ચકામા થવા અને કિડનીને ક્ષતિ પહોંચવી જેવી તકલીફો થતી હોય છે.


લી ક્વીંગ ક્વૂના વડપણ હેઠળ સંશોધકોએ એવું જીન તૈયાર કર્યું છે


સંશોધકોએ એવું જીન તૈયાર કર્યું છે, જેમાં નવ પ્રકારના એસીઈ અવરોધકો તેમજ રક્તવાહિનીને આરામ મળે એવા તત્વોના સંયોજન મેળવ્યા. આ જીનનું ચોખાના છોડમાં વાવેતર કર્યું. આ રીતે ઉત્પાદીત કરેલાં ચોખા હાઇપરટેન્સિવ ઉંદરોને ખવડાવવામાં આવ્યા. પરિણામ એ જાેવા મળ્યું કે, કોઈપણ જાતની આડઅસર વિના ઉંદરોનું બ્લડપ્રેશર નિયમિત થઈ ગયું!

સંશોધકો અનુસાર, જો કે આ ચોખાનો ઈલાજ માનવ પર સફળ થયો તો, ૧૫૦ પાઉન્ડ જેટલું વજન ધરાવનાર હાઇપરટેન્સિવ વ્યક્તિ સુદ્ધાં, માત્ર અડધી ટેબલ સ્પૂન જેટલા આ ભાત રોજ ખાય તો હાયપરટેન્શન એકદમ નિયંત્રિત થઈ જાય! લી ક્વીંગ ક્વૂ લખે છે, ‘હાઇપરટેન્શનના ઉપચાર માટે કુદરતી ઈલાજનો પર્યાય ઊભો કરવાનું કાર્ય કર્યું છે.