બનાસકાંઠા-

જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા માટે આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો કોરોના સંક્રમિત થયા છે. નાગલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મેળવીને તપાસ અર્થે મોકલાયા હતા. જેમાંથી સોમવારે 20 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યારબાદ કુલ 433 જવાનોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી વધુ 32ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 52 થયો છે. અસરગ્રસ્ત જવાનોમાં કોરોનાનો ક્યો વેરિયન્ટ છે, તેની તપાસ માટે નમૂના ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જે 15 દિવસ બાદ જાણી શકાશે. જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ભયાનક સાબિત થઇ હતી. કોરોનાની બીજી લહેર લોકોની બેદરકારીના કારણે સામે આવી હતી. આ કોરોના વાઇરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ સાબિત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ માંડ કોરોના વાઇરસની બીજી લહેર પૂર્ણ થઇ છે. ત્યારે ફરી એકવાર કોરોનાના કેસ શરૂ થયા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો કોરોના સંક્રમિત થવાનો આંક વધ્યો છે. એકસાથે 20 જવાનો કોરોના સંક્રમિત થયા બાદ આજે વધુ 32 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 52 સુધી પહોંચ્યો છે.