26, ઓગ્સ્ટ 2021
અમદાવાદ-
અમદાવાદમાં આજે બોપલ પાસે એક દુર્ઘટના બની છે જેમાં ઔડાની ડ્રેનેજ લાઈનની સફસફાઈની કામગીરી દરમિયાન 2 મજૂરોના ગૂંગળામણ થી મોત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. બોપલ પાસે આવેલા ઔડાની ડ્રેનેજ લાઈન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાફસફાઈ દરમિયાન મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. મજૂરને થોડીવારમાં ગૂંગળામણ થવાને કારણે તે બેભાન થઈ જતાં તેમને બચાવવા માટે બીજા 2 મજૂરો પણ ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ બે મજૂરોને બહાર કાઢ્યાં હતાં.પરંતુ બીજા એકની શોધ ખોળ શરૂ કરી હતી. આ બંને મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અન્ય એક મજુરનું પણ શોધખોળ દરમિયાન મોત નીપજ્યું હતું. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે.
બોપલમાં ઔડા દ્વારા ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેને સાફ કરવા માટે ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજ લાઈનમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં દુર્ગંદના કારણે થોડી વારમાં તેને ગૂંગળામણ થતા બીજા 2 મજૂરો રાજુભાઈ અને સંદિપભાઈ તેમને બચાવવા માટે ડ્રેનેજ લાઈનમાં ઉતર્યા હતાં. પરંતું સંજોગોવશ તેઓ ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં જ પાઈપલાઈનમાં દટાઈ ગયા હતા જેની માહિતી મળતા હોવાની માહિતી મળતા ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી
ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરના જવાનોએ બે મજૂરોને પાઈપલાઈનમાંથી બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્રીજાની ભાળ નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ફાયરના જવાનોએ ડ્રેનેજના પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બોપલ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપ્યું હતું. યોગી કન્સ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે કાયદાકીય જોગવાઈ મુજબ મજૂરોને સીધા ડ્રેનેજ લાઈનમાં ઉતારી શકાય નહીં તો પણ આવી રીતે ડ્રેનેજમા ઉતરતા લોકોનું મોત થાય છે તેનું જવાબદાર કોણ તે એક સવાલ છે