અંબાજી : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સીઝન કરતા વધારે વરસાદ પડ્યો છે. જયારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી - દાંતા પંથકમાં વરસાદની હજી ઘટ રહી છે. અંબાજી પંથકમાં પુરી સીઝનમાં ૫૦ ઇંચ જેટલો વરસાદ સરેરાશ પડતો હોય છે. આ વર્ષે હમણાં સુધીમાં ૨૪ ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે, પણ કેટલાક ભારે વરસાદી ઝાપટાના કારણે અંબાજી પંથકમાં નદી નાળા જીવંત બન્યા છે.નદી નાળાના વહેતા પાણીના કારણે કુદરતી સૌંદર્ય પણ સોળે કલાએ ખીલી ઉઠ્‌યું છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અહીં સતત પાંચ છ દિવસથી ધીમી ધારે વર્ષી રહેલા વરસાદના કારણે આદિવાસી ખેડૂતોને પાકને મોટી નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. ઉગેલી મકાઈના પાકવાળા ખેતરોમાં પાણી ભરાયા છે. જયારે ખેતરોમાંથી પસાર થતી નદીના કારણે ઉગેલા પાકનું ધોવાણ પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાતા ઉગેલો પાક ગળતર થઇ જતા ખેતી નિષ્ફળ જાય તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.આ પરિસ્થિતિને લઈ સરકાર ખેડૂતોના વહારે આવે તેવી પણ માંગ કરાઈ રહી છે.