ડીસા-

કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ તબકકામાં 2.50 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે. સરકારનાં ઉમદા અભિગમ અંતર્ગત ડીસાનાં તબીબોને લઇને રસી આપવાનો કાર્યક્રમ મંગળવારે ડો. હરસુખ શાહ આઈએમએ ભવન ખાતે યોજાયો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં શહેરનાં જાણીતા 60 જેટલા તબીબોને પ્રવર્તમાન કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈએમએનાં પ્રમુખ ડો. હેતલ ગોહિલ દ્વારા સામાન્ય પ્રજાને સંદેશ આપતા જણાવાયું હતું કે, આ કોરોના રસી ખૂબ જ અસરકારક અને સુરક્ષિત છે. જેથી કોઈએ ખોટી અફવાઓ પ્રત્યે ધ્યાન આપવું નહિ અને સરકારનાં આ અભિયાનમાં સંપૂર્ણ સાથ આપવાનો પણ અનુરોધ કર્યો હતો.