ભાવનગર-

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી, જુગારનો ગેરકાયદેસર અડ્ડો તથા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિને અકુંશમાં રાખવા માટે પાસા સુધારણા એક્ટ તથા લેન્ડ ગ્રેબીંગનો નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. આજે ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા ત્રણ જિલ્લા ભાવનગર, બોટાદ અને અમરેલીની ક્રાઈમ ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ત્રણેય જિલ્લાના પોલીસ અધિકારીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, વ્યાજખોરી અને ભૂમાફિયા વિરૂદ્ધ લેન્ડી ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ભાવનગર રેન્જમાં ૨૦૨૦ના વર્ષમાં ૩૨૪૭ ગુના દાખલ કરી ૨૯૯૬ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર રેન્જમાં -૧૭ ગેંગ પર કેસ કરી ૮૬ આરોપીની અટકાયક કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાં–૧૦ ગુના દાખલ કરી ૬૪ આરોપીની અટકાયત કરવામાં આવી છે, અમરેલી જિલ્લામાં ૭ ગુના દાખલ કરી ૨૨ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

જુગારનો ગેરકાયદેસર અડ્ડો ચલાવનાર તથા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવતિ કરતા ૨૧૩ શખ્સો વિરૂધ્ધ પાસા કરવામાં આવ્યા છે. જેમાં ૫૫ વોરન્ટની બજવણી કરવામાં આવી છે . જેમાં ભાવનગરમાં ૫૨ શખ્સો વિરૂધ્ધ પાસા કરવામાં આવ્યા છે. તેમજ ૧૬ની વોરંટની બજવણી કરવામાં આવી છે. અમરેલીમાં ૧૨૬ શખ્સો વિરૂધ્ધ પાસા કરવામાં આવ્યા છે અને ૩૫ સામે વોરંટની બજવણી કરવામાં આવી છે. આ સિવાય બોટાદ જિલ્લામાં ૩૫ શખ્સો વિરૂધ્ધ પાસા કરવામાં આવ્યા છે જેમાં ૪ વોરંટની બજવણી કરવામાં આવી છે, લેન્ડ ગ્રેબીંગના રેન્જમાં ૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરમાં ૩ તથા અમરેલી જિલ્લામાં ૨ ગુના દાખલ કરવામાં આવ્યા છે. ૨૦૨૦માં ભાવનગર રેન્જમાં ખૂનના ૬૯ ગુના દાખલ કરી ૬૯ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે, ખૂનની કોશિષના ૬૭ ગુના દાખલ કરી ૭ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે. ધાડના ૮ ગુના દાખલ કરી ૭ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે. લૂંટના ૨૮ ગુના દાખલ કરી ૨૬ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે, ઘરફોડ ચોરીના ૧૪૦ ગુના દાખલ કરી ૮૫ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે. ચોરીના કુલ ૪૧૭ ગુના દાખલ કરી ૩૧૧ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે.