ન્યુ દિલ્હી,

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે અંતરીક્ષ વિજ્ઞાન અને બેંક્સ મામલે મોટા સુધારાના વટહુકમને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. હવેથી સરકારી બેંક (અર્બન કો ઓપરેટિવ બેંક હોય કે પછી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેંક) રિઝર્વ બેંકના સુપરવિઝન પાવરમાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ૧,૪૮૨ શહેરી સહકારી બેંક અને ૫૮ બહુ રાજ્ય સહકારી બેંક સહિતની સરકારી બેંક્સ હવે ભારતીય રિઝર્વ બેંકના સુપરવિઝન અંતર્ગત લવાઈ રહી છે. આરબીઆઈની શકિતઓ જેમ અનુસૂચિત બેંક પર લાગુ થાય છે તેમ જ સહકારી બેંક પર પણ લાગુ થશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ૧૫૪૦ સહકારી બેંકને આરબીઆઈના સુપરવિઝનમાં લાવવાથી અનેક ખાતાધારકોને ફાયદો મળશે. આ બેંકોના ૮.૬ કરોડથી પણ વધારે થાપણદારોને આશ્વાસન અપાશે કે આ બેંકોમાં જમા ૪.૮૪ લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાયા છે. અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારે મોટા સુધારા કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરીક્ષમાં સારો વિકાસ કર્યો છે અને હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યા છે. તે સિવાય કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાની મથક ઘોષિત કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગોમાં પેટા વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે બનાવવામાં આવેલા પંચના કાર્યકાળના વધારાને અને છ મહિના સુધી એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ને મંજૂરી આપી દીધી છે.