ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે રાજકીય રંગ જામ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા સાંપડી છે. કોંગ્રેસના આંતરિક અસંતોષનો લાભ ભાજપને મળી રહ્યો હોય, તેમ જિલ્લા પંચાયતની ૨ અને તાલુકા પંચાયતની ૧૭ બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો. જૂનાગઢ જિલ્લાની બિલખા પંચાયત અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પર ભાજપ બિનહરીફ બન્યું છે. જ્યારે તાલુકા પંચાયત પર નજર નાંખીએ તો, સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની ૧-૧ બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે.

આ સિવાય અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આજ રીતે જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક પણ ભાવનગરના ઉમરાળા તાલુકા પંચાયતની ૨ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના ૪ તાલુકા પંચાયતની ૯ બેઠકો બિનહરીફ ઉપરાંત લીંબડી અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે.

આજ રીતે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ અને વાવડી બેઠક પણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જ્યારે થાનગઢ તાલુકા પંચાયતની જામવાળી, ખાખરાથળ, નળખંભા, સોનગઢ, મોરથળા બેઠક ઉપરાંત કચ્છ જિલ્લાના ભુજ તાલુકા પંચાયતની ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્‌વીટ કરીને રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં બિનહરીફ ચૂંટાયેલા ૨૬ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.