અમદાવાદ-

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. જેની સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે તેવી શક્યતાઓ પ્રબળ બની હતી. જોકે ચૂંટણી પંચે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. જોકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે, ભાજપ પેટા ચૂંટણી માટે તૈયાર છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વિધાનસભાની આઠ સીટો ખાલી છે, ત્યારે કોરોના કાળમાં આ 8 બેઠકો પર કેવી રીતે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવો તે કામગીરી ભારત સરકારના ચૂંટણી પંચે કરવાની છે. પરંતુ રાજ્ય સરકાર અને ભાજપના લાખો કાર્યકર્તાઓએ પેટા ચૂંટણઈ માટે આયોજન કરી રાખ્યું છે અને તે પ્રમાણે કામ કરશે. જોકે તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પક્ષે ગુજરાતની આઠ બેઠકો પર ચૂંટણી યોજાવાની સંપૂર્ણ તૈયારી સંગઠન તરફથી કરી નાખવામાં આવી છે. જીતુભાઈ વાઘાણી જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતાં ત્યારે તેમની અધ્યક્ષતામાં પણ પક્ષે કામગીરી શરૂ કરી હતી. હાલ અધ્યક્ષ સી આર પાટીલ છે ત્યારે તેમની અધ્યક્ષતામાં પણ પક્ષની સંગઠનની કામગીરી સાથે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે. જેથી ચૂંટણી પંચ પેટાચૂંટણી જાહેર કરે તો ભારતીય જનતા પાર્ટી પક્ષ તરીકે અમે જે જે નિયમો પ્રમાણે ચૂંટણી કરાવશે તે પ્રમાણે સંપૂર્ણપણે તૈયાર છે.