લખનૌ-

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ નાની પાર્ટીઓને પોતાની તરફ ખેંચવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે. અપના દલ અને નિષાદ પાર્ટી બાદ બીજેપીએ એકવાર ફરી ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી પર નજર નાંખી છે, પરંતુ રાજભરે જાહેરાત કરી છે કે તેઓ બીજેપી સાથે ગઠબંધન નહીં કરે.

ઓમ પ્રકાશ રાજભરે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘ભાજપ ડૂબતી નાવ છે, જેમણે તેમના રથ પર ચડવું છે, ચડી જાય, પરંતુ અમે નહીં ચડીએ. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે તેમને વંચિતોની યાદ આવે છે, જ્યારે મુખ્યમંત્રી બનવું હોય છે તો બહારથી લાવીને બનાવી દે છે. અમે જે મુદ્દાઓને લઇને સમજૂતી કરી હતી, સાડા ચાર વર્ષ થઈ ગયા, પરંતુ એકપણ પૂર્ણ નથી થયો.’ પૂર્વ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, ‘યુપીમાં શિક્ષક ભરતીમાં પછાતોનો હક છીનવી લીધો, વંચિતોને ભાગેદારી ના આપનારી ભાજપા કયા મોઢે વંચિતો વચ્ચે વોટ માંગવા આવશે. તેમને ફક્ત વોટ માટે વંચિતો યાદ આવે છે. અમે ભાગેદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે, જે પણ યુપીમાં ભાજપને હરાવવા ઇચ્છે છે અમે તેની સાથે ભાગેદારી કરવા તૈયાર છીએ.