ગાંધીનગર-

મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે તથા ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.  આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસિસ્ટન્ટ કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.