અંક્લેશ્વર

અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહત માંથી નીકળતા એફલ્યુઅન્ટ ને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને હંસોટ કંટીયાજાળ દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક ની પાઈપલાઈન ને બદઇરાદા પૂર્વક તોડીને નુકશાન પહોંચાડવા ના કાવતરા અંગે કંપની સત્તધીશોએ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે એક ઈસમ ની અટકાયત કરીને જેસીબી મશીન પણ કબ્જે કર્યુ હતુ.

હાંસોટ તાલુકા ના વઘવાણ ગામ ના હસમુખ નરસિંહભાઇ પટેલ નામના ખેડૂત સામે નર્મદા ક્લીન ટેક કંપની ના સત્તાધીશો એ જેસીબી મશીન થી પ્રદૂષિત પાણી નું વહન કરતી પાઇપ લાઇન તોડી નાખવાનો ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જોકે તહોમતદાર ખેડૂત હસમુખ પટેલે હાંસોટ પોલીસ સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે એનસીટી ની પાઈપ લાઈન તેમના ખેતર ને અડીને જાય છે અને તેમના ખેતર માં વ્યાપક પ્રમાણમાં નહેર તેમજ વરસાદી પાણી નો ભરાવો લાંબા સમય થી થતો હોય અને તેનો નિકાલ થતો ન હોય પાણીના નિકાલ માટે તેઓએ જેસીબી મશીન થી સાફ-સફાઈ કરાવતા હતા તે દરમિયાન અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈન તૂટી જવા પામી હતી. આ અંગે સ્થાનિક ઉદ્યોગો એ એનસીટી ઉપર દબાણ કરતા ખેડૂત પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.દરમ્યાન એનસીટી દ્વારા યુધ્ધ ના ધોરણે મરામત ની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી હતી. જોકે એ વાત માં પણ કોઈ બેમત નથી કે આ ભંગાણ ને કારણે સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા અવરોધાય હતી, અને આર્થિક નુકશાન ભોગવવું પડ્યુ હતુ.હાલ આ ઘટના માં પોલીસે હસમુખ પટેલની અટકાયત કરી હતી.