દિલ્હી-

છેલ્લા 4 મહીનાથી ન્યાયતંત્રનું કામકાજ મર્યાદીત થઈ જતાં દસ લાખ જેટલા વકીલો સામે નાણાકીય કટોકટી ઉભી થઈ છે. અન્ય સરકારી અને ખાનગી કચેરીઓ અને ઉદ્યોગ-ધંધા થોડી મુશ્કેલીઓ, કર્મચારીઓની મર્યાદીત સંખ્યા સામે કામ કરતી થઈ છે, પણ અદાલતોમાં હજુ પણ ફીઝીકલ સુનાવણી થઈ રહી નથી. સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીના જણાવ્યા મુજબ હજુ પંદરેક દિવસ ખુલશે નહીં.

જસ્ટીસીસ એમ.વી.રામન્ના, અરુણ મિશ્ર, આર.એફ.નરીમાન, યુયુ લલીત, એ.એમ.ખાનવિલકર, ડી.વાય.ચંદ્રચૂડ અને એલ.એન.રાવે દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા થોડી ઘટવા લાગતા તબીબી નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી. 

રજીસ્ટ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી કેસોમાં થોડો ઘટાડો થયો છે પણ બે સપ્તાહ સુધી યથાસ્થિતિ (કોર્ટો બંધ રાખવી) જાળવવા તબીબી અભિપ્રાય મળ્યો છે. સમીતીએ કઠણાઈનો સામનો કરી રહેલા વકીલો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી હતી, પણ તેને લાગ્યું હતું કે અદાલતો ખોલવાથી તે સુપરસ્પ્રેડર બની શકે. હવે બે સપ્તાહ બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.