દિલ્હી-

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ફરી ચર્ચા શરુ થઈ છે.તાજેતરમાં કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યુ હતુ કે, સરકાર કૃષિ કાયદાઓને પાછા નહીં લે પણ આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.હવે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સરકાર ભલે લાઠીનો ઉપયોગ કરે પણ જે પણ વાતચીત થશે તે કોઈ પણ જાતની શરત વગર થશે.

ભારતીય કિસાન યુનિયનના આગેવાન ટિકૈતના કહેવા પ્રમાણે સરકારનો જે લેટેસ્ટ પ્રસ્તાવ અમને મળ્યો છે તે શરતો સાથેનો છે.સરકાર વાતચીત કરવા માંગે છે પણ એવુ પણ કહી રહી છે કે, નવા કાયદા પાછા નહીં ખેંચાય.અમે કોઈ શરત મુકી નથી.જાે કાયદા પાછા ખેંચવા પર ચર્ચા કરવાની હોય તો અમે વાતચીત કરવા માટે તૈયાર છે.તેમણે કહ્યુ હતુ કે, અમે તો આઠ મહિનાથી આર પારની લડાઈના મૂડમાં છે.આર પારની લડાઈનો જે અર્થ જેને કાઢવો હોય તે કાઢી શકે છે પણ અમે કહી રહ્યા છે કે અમે શાંતિથી બેઠા છે.સરકાર જાે અમને અહીંથી પાછા મોકલવા માંગતી હોય તો દંડા અને ગોળીઓનો ઉપયોગ કરી શકે છે.

ટિકૈતે આગળ કહ્યુ હતુ કે, સરકાર કોઈ પાર્ટીની હોત તો વાત કરત પણ આ સરકાર કંપનીઓ ચલાવી રહી છે અને લોકોને લૂંટવાનો પ્લાન કરી રહી છે.દેશની જનતાએ રસ્તા પર આવીને લૂંટારુઓને ભગાડવા પડશે.ટિકૈતે યુપીમાં પણ ઓગસ્ટ મહિનાથી દરેક જિલ્લામાં આંદોલનની શરુઆત કરવાની જાહેરાત કરી છે.જેમાં શેરડી પકવતા ખેડૂતો, મોંઘી વીજળી સહિતના મુદ્દા ઉઠાવવામાં આવસે.૧૧ જુલાઈએ ખેડૂતોની મોટી બેઠક યોજાશે અને તેમાં આગામી આંદોલનની વ્યૂહરચના ઘડવામાં આવશે.