અમદાવાદ-

ભારતીય રેલ્વે ગણેશ ચતુર્થીના અવસરે મુસાફરોની ભીડને ઘટાડવા માટે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેની સાથે સમન્વયમાં અમદાવાદ, વડોદરા અને રત્નાગિરી, કુડાલ, સાવંતવાડી રોડ સ્ટેશનની વચ્ચે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચાલશે. ગણપતિ સ્પેશ્યલ ટ્રેનના બુકિંગ 17 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર અને IRCTC ની વેબસાઈટથી કરી શકાશે.

આ ટ્રેન નંબર 09418 અમદાવાદથી સાવંતવાડી રોડ થઇને પરત અમદાવાદ આવશે. જે 21 અને 28 ઓગસ્ટના રોજ અમદાવાદથી સાંજે 4:15 વાગ્યે દર શુક્રવારે ઉપડશે અને દર શનિવારે બપોરે 12:40 વાગ્યે સાવંતવાડી રોડ સ્ટેશન પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન 09417 સાવંતવાડી રોડથી અમદાવાદ સ્પેશ્યિલ ટ્રેન 22 અને 29 ઓગસ્ટના રોજ એટલે કે, દર શનિવારે 01:40 વાગ્યે સાવંતવાડી રોડથી ઉપડશે અને અમદાવાદમાં સવારે 07:55 વાગ્યે એટલે કે દર રવિવારે આવશે.આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, મનગાવ, ચીપલુન, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, બિલાવેડ, રાજાપુર રોડ, સિંધુદુર્ગ અને કુડાલ-1 સ્ટેશન પર થોભસે. આ વિશેષ ટ્રેનના સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સેકન્ડ સીટીંગ માટે આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલશે. આ વિશેષ ટ્રેનોનું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઈઝ આરક્ષણ કેન્દ્ર અને આઇઆરસીટીસીની વેબસાઈટ ઉપરથી 17 ઓગસ્ટ, 2020 થી શરૂ થશે. આ બંને વિશિષ્ટ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેનોમાં કોઈપણ અનારક્ષિત કોચ રહેશે નહીં. સેકન્ડ ક્લાસના કોચ પણ સેકન્ડ સીટિંગ તરીકે આરક્ષિત રહેશે.

આગામી સમયમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદથી મહારાષ્ટ્રના સાવંતવાડી રોડ અને કુડાલ સ્ટેશન વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનોની કુલ 8 ટ્રીપ 'ગણપતિ વિશેષ ટ્રેનો' દ્વારા ચલાવવામાં આવશે.