અમદાવાદ-

સિવિલ હોસ્પિટલની મૂલાકાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધી હતી, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભવિત શક્યતાના પગલે સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે-સાથે કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઊભી કરાશે. લવ જેહાદ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતની દીકરીઓ સલામત રહે અને આ વખતે ખોટી રીતે ફોસલાવીને અન્ય લોકો લગ્ન કરે છે. આ ઉપરાંત ખોટી આવક કે ખોટો ધર્મ બતાવીને પણ દીકરીઓને છેતરવામાં આવે છે. તેને લઈને વિધાનસભામાં કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાહિતના કાયદાને કેટલાક વ્યક્તિઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કાયદાને હાઇકોર્ટમાં સ્ટે આપવામાં આવ્યો છે, ત્યારે આ મામલે મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તેને સુપ્રીમમાં અમે પડકારીશું.