મુંબઈ-

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બાંદરા પોલીસે જાણીતા ફિલ્મ-નિર્માતા આદિત્ય ચોપરાની ચાર કલાક ઝીણવટભરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં સુશાંત સિંહ સાથે યશરાજ ફિલ્મ્સે કરેલી કરારોની વિગતો અને અન્ય આર્થિક વહેવારોની માહિતી પોલીસે લીધી હતી. એ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ સામે થયેલા આક્ષેપો વિશે પણ સવાલો કરાયા હોવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.

પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ અને સુશાંત સિંહ વચ્ચે કૉન્ટ્રૅક્ટ થયો હતો, જે અનુસાર યશરાજ ફિલ્મ્સ સુશાંત સિંહને લઈને ત્રણ ફિલ્મોનું નિર્માણ કરવાનું હતું. જેમાંથી બે ફિલ્મો બની હતી, પણ ત્રીજી ફિલ્મ નથી બની. એ પછી સુશાંતે હતાશામાં સરી પડી આત્મહત્યા કરી લીધી હતી. જોકે અભિનેતાની હતાશાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. મુંબઈ પોલીસ એ જ કારણની તપાસ કરી રહી છે, જે માટે સુશાંત સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરાઈ રહી છે. સુશાત સિંહની આત્મહત્યા બાદ યશરાજ ફિલ્મ્સ પર એક બાજુ સુશાંત સાથે ફિલ્મ ન બનાવવા બદલ અને બીજું તેને અન્ય પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ ન મળે એ માટે પ્રયાસ કરાયાનો આરોપ થઈ રહ્યો છે. એથી જ સુશાંત ડિપ્રેશનમાં સરી પડ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એથી એ આક્ષેપોની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ રીહાએ સુશાંતના અકાઉન્ટમાંથી કરેલા ખર્ચની વિગતો તપાસશે 

બાંદરા પોલીસ હવે સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રીહા ચક્રવર્તીના ખર્ચાઓની તપાસ કરવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં એડવર્ટાઇઝિંગના શૂટિંગ માટે યુરોપ ગઈ હતી. એ વખતે ટિકિટથી લઈને અન્ય બીજા બધા જ ખર્ચા સુશાંત સિંહે કર્યા હતા. બીજું છેલ્લા ૧૧ મહિનાથી રીહા ચક્રવર્તીએ સુશાંતના અકાઉન્ટનાં નાણાંથી પોતાના પર જબરદસ્ત ખર્ચો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તેના એ ખર્ચાની વિગતો તપાસવાની છે એમ સૂત્રોએ જણાવ્યું હતુ.