ગાંધીનગર-

ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ હેતુસર એક વિસ્તૃત અને નક્કર કાર્યયોજના એકશન પ્લાન ઘડી ''હારશે કોરોના-જીતશે ગુજરાત''ના મંત્ર સાથે કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેર સામે પણ ફતેહ હાંસલ કરશે. એવો નિર્ધાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના રાજ્ય સરકારના એકશન પ્લાન-રણનીતિની જાહેરાત કરતાં આ નિર્ધાર વ્યકત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ તેમજ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી એ આ એકશન પ્લાન-રણનીતિ પ્રચાર માધ્યમો સમક્ષ જાહેર કરી હતી. મુખ્યમંત્રી એ કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરને રાજ્ય સરકારે સઘન આરોગ્યલક્ષી પગલાંઓ, થ્રી ટી-ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટેટ્રેજી, ફ્રન્ટલાઇન વર્કર્સ, આરોગ્ય કર્મીઓ અને જનતા જનાર્દનના સહયોગથી મહદઅંશે નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવેલી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીયે. તે જ આપણી સફળતા છે.

મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો. આ કેસોની સંખ્યા આપણા સઘન ઉપાયો, કોરોના સંક્રમણ નિયંત્રણના વ્યાપક પગલાંઓ અને ગાઇડ ગાઇન્સના ચુસ્ત અનુપાલનને પરિણામે ફેબ્રુઆરી-ર૧માં ઘટીને રોજના ર૦૦-ર૭પ કેસોની થઇ ગઇ હતી. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં તા.૩૦મી એપ્રિલે સૌથી વધુ ૧૪,૬૦પ જેટલા કેસો નોંધાયા હતા અને સમગ્ર રાજ્યમાં કોવિડના એકટીવ દરદીઓની સંખ્યા ૧.૪૮ લાખ જેટલી હતી.

વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલો, ઓક્સિજન બેડ, ઓક્સિજન સપ્લાય અને સંક્રમણ નિયંત્રણના જે વ્યાપક ઉપાયો યુદ્ધના ધોરણે હાથ ધર્યા તેના પરિણામે છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસોની સંખ્યા ઘટીને પ૦૦ કરતાં પણ ઓછી થઇ ગઇ છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, કેસોની સંખ્યા ઘટી છે પરંતુ કોરોના વાયરસ હજી ગયો નથી. કોરોના સામેની સમજ અને શિસ્તમાં જરા પણ ઢિલાશ પાલવે તેમ નથી. આપણે દવાઇ ભી, કડાઇ ભી અને જાન ભી હૈ, જહાન ભી હૈ ના પ્રધાનમંત્રી ના સંકલ્પ સાથે રોજિંદી પ્રવૃત્તિઓ સંપૂર્ણ સતર્કતા-સાવચેતીથી ચાલુ રાખવાની છે. એટલું જ નહિ, વિશ્વના અને આપણા દેશના તજજ્ઞો કોવિડ મહામારીની ત્રીજી વેવ-લહેર આવવાની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે ગુજરાત આ ત્રીજી લહેરનો ઓછામાં ઓછો ભોગ બને અને તેની અસરોને વ્યૂહાત્મક રીતે ખાળી શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે એક વિસ્તૃત અને સર્વગ્રાહી રણનીતિ-કાર્યયોજના, એકશન પ્લાન ઘડયા છે.