ગાંધીનગર-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૨ હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં ૯૦ હજાર બેડ ઉપલબ્ધ છે. ૧૮૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમા ૧૧,૫૦૦ આઇ.સી.યુ. બેડ અને ૫૧ હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને ૫૦ હજારની સામે ૧.૭૫ લાખ કરવામાં આવ્યા છે. જેમાં ૭૦ હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. તેમણે કહ્યું હતું કે, કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત નિશ્ચિત છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.કેંદ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ ૩૦,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં ૨૦ હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે.

વિજય રૂપાણી  એ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત છે, જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ તથા ટેલિમેડીસીનના માધ્યમથી આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એકલા અમદાવાદમાં જ ૧૨૦૦થી વધારે સંજીવની રથ લોકોની સેવામાં છે, જે વરદાન રૂપ સાબિત થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ ખુબ વધી છે તેને પહોંચી વળવા માટે પર પ્રયત્નો થઇ રહ્યા છે. રાજ્યમાં પૂરતા વેક્સિનેશન અને કૉવિડ એપ્રોપ્રિઍટ બિહેવિયરના ચુસ્ત પાલન થકી આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે તેઓ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.