ગાંધીનગર, દેશના વડાપ્રધાન લોકશાહીના મંદિરમાં બેસીને હળાહળ જુઠ્ઠાણા ઉપર જુઠ્ઠાણા બોલી રહ્યા છે તે સંસદીય ગરિમાને છાજતું નથી તેમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલની વાતો કરતી ભાજપ સરકાર ગુજરાતમાં કોરોનાના મૃત્યુના આંકડાઓ અંગે સતત જુઠું બોલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની વારંવારની ફટકાર બાદ દર મુદતે કોરોનાના મૃત્યુના આંકડાઓ વધારીને એક લાખ સુધી પહોંચાડી દીધા છે તેમ જણાવીને કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા સરકારી કર્મચારીઓના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી. કોરોના મહામારીમાં ગેરવહિવટ, ગુન્હાહિત બેદરકારી - લાપરવાહીને કારણે લાખો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. સદંતર નિષ્ફળ કામગીરીનો ઠાંકપીછોડો કરવા ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ વડાપ્રધાનના નિવેદનને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિરમાં વડાપ્રધાન જે ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ નિવેદન બોલ્યા છે, તે સંસદીય ગરીમાને છાજતું નથી.