વડોદરા-

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે ફોર્મ ખેંચી લેવા માટે ગઈકાલે આખરી દિવસ હતો એ જોતાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો પૈકી અમદાવાદમાં 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.  રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. રાજકીય પક્ષના નેતાઓએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. 

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણી થવા પૂર્વેની ઉમેદવારોની આખરી યાદીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે, હવે અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે. આમ, આખરે અમદાવાદમાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે.

બીજીબાજુ, રાજકોટમાં પણ ફોર્મ પાછા ખેંચવાના આખરી દિવસ સુધી રાજકીય પક્ષોમાં ખેંચતાણ યથાવત રહી હતી. બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ વચ્ચે એકબીજાની પેનલો તોડવા માટેના ભરપુર પ્રયાસો થયા હતા. કેટલાંક નબળા ઉમેદવારોને આ ખેંચતાણમાંથી દૂર રાખવા માટે આખરે તેમને ફાર્મહાઉસમાં નજરકેદ કરી દેવાયા હતા.