દિલ્હી-

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને પૂર્વ પીએમ મનમોહનસિંહે પીએમ નરેન્દ્ર મોદીને ગઈકાલે એક પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા હતા. હવે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને તેનો જવાબ આપ્યો છે.તેમણે પ્રતિભાવ આપતા કહ્યુ છે તે, આ પ્રકારના સમયમાં જાે કોંગ્રેસના જ નેતાઓ ડો.મનમોહનસિંહના સૂચનો ધ્યાનમાં રાખીને સરકાર સાથે સહયોગ કરે તો વધારે સારી વાત હશે. એવુ લાગે છે કે, જે લોકોએ તમારા માટે (ડો.મનમોહનસિંહ) પત્ર તૈયાર કર્યો છે તેમણે તમને પૂરી હકીકતથી વાકેફ કર્યા નથી.

ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, કોરોના વેક્સીનની આયાતને મંજૂરી આપવા માટેની જે માંગણી ૧૮ એપ્રિલે તમે કરી છે તેને તો ૧૧ એપ્રિલે જ મંજૂરી આપી દેવાઈ છે. કોરોના વેક્સીનનુ ઉત્પાદન વધારવા માટે શક્ય હોય તેટલી રસી બનાવતી કંપનીઓને નાણાકીય સહાય સરકારે આપી છે પણ તમારી જ પાર્ટીના નેતાઓ કોરોનાના રસીકરણ કાર્યક્રમમાં ભાગ નથી લઈ રહ્યા. કોંગ્રેસના એક પણ નેતાએ ભારતના વૈજ્ઞાનિકોની રસી માટે પ્રશંસા કરી નથી. ઉલ્લેખનીય છે કે, ડો.મનમોહનસિંહે સૂચન કર્યુ હતુ કે, સરકારે દરેક રાજ્યોને પૂરા પાડેલા ડોઝના આંકડા જાહેર કરવા જાેઈએ અને કેટલા ટકા વસતીને રસી મુકાઈ તેના પર ધ્યાન આપવુ જાેઈએ. સરકારે રાજ્ય સરકારનો રસીકરણ માટે ફ્રન્ટ લાઈન વર્કર્સ ની કેટેગરી નક્કી કરાવની છુટ આપવી જાેઈએ.