ભરતી નહીં તો મત નહીં, ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે, લાગ્યા પોસ્ટરો
19, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

રાજ્યમાં આવતીકાલે છ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે. બંને મુખ્ય રાજકિય પક્ષો સહિત અન્ય પક્ષોએ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોડીનું જાેર લગાવીને પ્રચાર કર્યો છે. ત્યારે આજે પ્રચારના પડધમ શાંત થઈ જશે. આવતીકાલે યોજાનાર મતદાન પહેલાં જ ભાજપમાં વધુ એક ચિંતાનો પગપેસારો થયો છે. અમદાવાદમાં સરકારી નોકરી માટેની ભરતીની રાહ જાેઈને બેઠેલા ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં ભાજપમાં વધુ ભય ફેલાયો છે. એલઆરડી અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા છે. ભાજપે મતદાન પહેલાં જ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું છે.

શહેરમાં ભાજપના કાર્યલય પાસે જ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભરતી નહીં તો વોટ નહીં. તે ઉપરાંત એલઆરડી, એસઆરપીએફ અને જીપીએસસીના ઉમેદવારો પર ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે. આ પ્રકારની માંગ શહેરમાં લાગેલા પોસ્ટરોમાં કરવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર ૩૮ જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે.

ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને એએમસીમાં ૧૪૨ પૈકી ૧૦૦ થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ ૩૮ જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution