23, ઓગ્સ્ટ 2020
અરવલ્લી : મેઘરજ તાલુકાના માનડા ગામની તલાવડીમાંથી એક વર્ષ અગાઉ ભુવાલ ગામના રણજીતભાઈ ડામોર નામના યુવકની લાશ મળી આવી હતી. ઇસરી પોલીસે તળાવમાંથી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી અપાઈ હતી. એફએસલ રિપોર્ટમાં યુવકનું મૃત્યુ ઝેર પીવાથી મોત નીપજ્યું બહાર આવતા ઇસરી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીવાયએસપી ભરત બાસિયાએ વણઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવા તેમના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબીને તપાસ સોંપતા એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી મૃતકના સાઢુ પ્રભુભાઈ ખરાડી નામના હત્યારાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. મેઘરજ તાલુકાના માનડા ગામે રહેતા પ્રભુભાઈ ખરાડીએ એક વર્ષ અગાઉ તેની પત્ની સાથે તેના સાઢુ રણજીતભાઇ ભુરાભાઇ ડામોરને પ્રેમ સંબંધ હોવાનો વ્હેમ પેદા થતા રણજીતભાઈની હત્યા કરવાનો અને હત્યાને આકસ્મિક મોતમાં ખપાવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં સફળ પણ રહ્યો હતો. પરંતુ પાપ છાપરે ચઢી પોકારે યુક્તિને યર્થાથ ઠેરાવતા એક વર્ષ પછી એલસીબી પોલીસે હત્યારા પ્રભુ ખરાડીને દબોચી લીધો હતો. પ્રભુ મણાભાઈ ખરાડીએ ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મહેમાન ગતિએ આવેલા તેના સાઢુ રણજીતભાઇને મોતને ઘાટ ઉતારવા દારૂની મહેફિલ જમાવી ઝેરી દવા ભેળવેલ દારૂ પીવડાવતા રણજિત ઢળી પડ્યો હતો. રણજિત મોતને ભેટતા હત્યાંની ઘટના છુપાવવા રણજીતની લાશને ગામ નજીક આવેલ તલાવડીમાં નાખી દઈ હત્યાનો અંજામ આપી રાબેતા મુજબ જીવન જીવવા લાગ્યો હતો એલસીબી પોલીસે બઆગવી ઢબે પ્રભુ ખરાડીની પૂછપરછ કરતા પ્રભુ ખરાડી પોપટની માફક હત્યાને કઈ રીતે અંજામ આપ્યોનું કબુલી લીધું હતું.