જામનગર-

જામનગર મહાપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે 343 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં આવતીકાલે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી, બસપા, સહિતના રાજકીય પક્ષો તેમજ અન્ય અપક્ષોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. ત્યારે પોતપોતાના વોર્ડમાં અપક્ષ ઉમેદવારોને ઉમેદવારીપત્ર પાછા ખેંચવા માટે રાજકીય પક્ષો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. અને દરેક વોર્ડના સીમાંકનના આધારે સ્થાનિક ઉમેદવાર દ્વારા દોડધામ કરાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાના શનિવારે છેલ્લા દિવસના અંતે કુલ 343 ફોર્મ રજૂ થયા હતા. હવે આ ફોર્મની ચકાસણી પ્રક્રિયા તા.8ને સોમવારે હાથ ધરવામાં આવશે. અને તા.9ને મંગળવારે ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારપછી ચિત્ર સ્પષ્ટ થશે.

રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયા પછી ગત સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું હતું. જામનગરમાં પણ શરૂ થયેલા આ કાર્યક્રમ અન્વયે શનિવારે ઉમેદવારીપત્ર રજુ કરવા માટે નો આખરી દિવસ હતો. ત્યારે શનિવારના દિવસના અંતે જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે કુલ 343 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા. હવે મંગળવારે મોડી સાંજે જામનગરનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. હાલની સ્થિતિ એ જોઈએ તો જામનગરમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, એનસીપી, આપ, સપા અને અપક્ષોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે. એટલે કે ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ ફાળવણી માં અસંતોષ જાગ્યો છે. તેમજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે જરૂરી ધ્યાન આપવામાં આવ્યું હોય ઉપરાંત 'આપ' પણ ચૂંટણી મેદાન માં ઉતાર્યું છે.