17, જાન્યુઆરી 2021
અમદાવાદ-
રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા હોવા છતાં ગૃહખાતું હજી લોકોમાં માસ્ક ફરજીયાત પહેરવાની ટેવ કાયમી બને તે માટે પ્રયાસો કરી રહ્યું છે. શહેર કે ગામડાંઓના જાહેર સ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે ફરજીયાત કરી દેવાયું છે. કોઈપણ વ્યક્તિ ફોર વ્હીલરમાં મુસાફરી કરતી હોય એ દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય કે તેનાથી વધારે દરેકે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોનાં ચાલકોએ અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. આ પૈકી કોઈપણ કેસમાં જો માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ વસુલવામાં આવશે.
ગૃહવિભાગના હવાલાથી અમદાવાદની વિશેષ શાખાના અધિક પોલીસ કમિશ્નર ડી.એચ. દેસાઇએ તમામ ઝોન અને ટ્રાફિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઇમને જાણ કરી હતી કે શહેરમાં કોઇ પણ ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત છે. જેને પગલે રિક્ષા, ટેક્સી કે કેબ ચાલક સરકારી કે ખાનગી વાહનચાલકો અને મુસાફરોએ તમામે માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ડ્રાઇવર એકલો હશે તો પણ માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે. સ્પષ્ટતા કરવામાં આવી કે, ગૃહવિભાગ દ્વારા ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન એક વ્યક્તિ હોય તો તેને માસ્ક પહેરવામાંથી મુક્તી અપાઇ હતી પરંતુ હવે એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું પડશે. ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગ અને આરોગ્ય વિભાગના અલગ અલગ પરિપત્રના કારણે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા સામે આવ્યાં છે જેના કારણે આ પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે.