પટના-

કોરોના વૅક્સીનેશનને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનું મોટું નિવેદન આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, સમગ્ર બિહારમાં દરેકને નિઃશૂલ્ક કોરોના વૅક્સિનેશન કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના વૅક્સિનની સુવિધા મફત પૂરી પાડવામાં આવશે. બિહાર સરકાર તરફથી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના વૅક્સિનેશન ફ્રીમાં થાય, તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નીતિશકુમારે જણાવ્યું કે, આ મામલે ગઈકાલે જ એક બેઠક થઈ હતા.

અનેક ડિપાર્ટમેન્ટની સાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા થઈ છે. કોરોના વૅક્સિનેશન ફ્રી કરવાને લઈને સમીક્ષા પૂરી કરી લેવામાં આવી છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, વૅક્સિન આપવામાં આવશે આ સિવાય અન્ય ઠેકાંણે પણ વૅક્સિનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ વૅક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવશે. જાે કે આજે જ અમે અમારી વૅક્સીન મૂકાવી રહ્યાં છે. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની પ્રજાને નિઃશૂલ્ક કોરોના વૅક્સીન પૂરી પાડવાનું વચન આપ્યું હતુ. હવે નીતિશ કુમારની સરકારે પોતાનો વાયદો પૂરો કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.