પટના-

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ તેમની અંતિમ ચૂંટણી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્ણિયામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જાણી લો આજે ચૂંટણીનો અંતિમ દિવસ છે અને પરમ દિવસે ચૂંટણી છે. આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. ઉલ્લેખનિય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર જાેરશોરથી થઈ રહ્યો છે. આ વચ્ચે નીતિશ કુમારનું આ નિવેદન સામે આવ્યું છે. 

નીતિશ કુમારે વર્ષ 1972માં બિહાર એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે થોડાં સમય માટે બિહાર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી બોર્ડમાં નોકરી પણ કરી પરંતુ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ તેઓ રાજનીતિમાં આવ્યા. ઉલ્લેખનિય છે કે, નીતિશ કુમારે વર્ષ 1977માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી. તેમણે નાલંદાના હરનૌતથી ચૂંટણી લડી હતી. અહીંથી નીતિશ કુમાર ચાર વખત ચૂંટણી લડી જેમાં તેમણે 1977 અને 1980માં હાર મળી, જ્યારે 1985 અને 1995ની ચૂંટણીમાં તેમની જીત થઈ હતી.