મહિસાગરના ચોપડા ગામના પ્રગતિશીલ ખેડૂતની છુટા ફૂલોની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની
26, ઓક્ટોબર 2020

બાલાસિનોર : વૈશ્વિક મહામારી કોરોનાના સંકટકાળમાં લગ્નસરાની મૌસમ, તહેવારોની ઉજવણી તેમજ દેવદર્શન મર્યાદિત થવાના કારણે ફૂલ ઉદ્યોગને પણ વ્યાપક અસર પડી હતી. જાેકે, અનલોકમાં નવરાત્રિ પર્વમાં શક્તિ વંદનામાં મળેલી છૂટછાટોને પગલે આરતી વંદના સહિતના કાર્યક્રમો કોવિડ ગાઈડલાઇન અનુસરીને શરૂ થયાં છે, જેનાં પગલે તહેવારો ટાણે ફૂલોની માગમાં ઉછાળો જાેવાં મળતાં ભાવોમાં તેજી આવી છે. ત્યારે પિયતની સુવિધા ધરાવતાં ખેડૂતો માટે ફૂલોની ખેતીએ આવક રળી આપતો એક લઘુ ઉદ્યોગ ખેડૂતો માટે સાબિત થઇ રહ્યો છે. બાગાયતી છુટા ફૂલોની ખેતી મહિસાગર જિલ્લાના ચોપડા ગામના શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત કીર્તિભાઈ પટેલ કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાંદાયી બન્યાં છે. 

કીર્તિભાઈ પટેલ અગાઉ ડાંગર, મકાઈ અને ઘઉં જેવા ખેતી પાકોની ખેતી કરતા હતા, પરંતુ તેમાં મજૂરી ખર્ચ વધુ અને ઉપજ ઓછી હોવાના કારણે આર્થિક રીતે ખેતી પરવડતી નહોતી. શિક્ષિત અને જાગૃત ખેડૂત સરકારના કૃષિ રથ અને કૃષિમહોત્સવ જેવા ખેડૂતો માટે પ્રેરક કાર્યક્રમોના માધ્યમથી ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના સંપર્કમાં આવી બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાયાં હતાં. આ ખેતીમાં મજૂરી ખર્ચ ઓછો તથા ઉત્પાદન અને આવક વધુ મળી શકે તેથી કીર્તિભાઈએ મહિસાગર જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરીને છુટા ફૂલ પાકોની ખેતી વિશે માર્ગદર્શન તથા સલાહ મેળવી હતી. વધુમાં છુટા ફૂલોમાં બાગાયત ખાતાની સહાય અને માર્ગદર્શન પણ મળે છે. તે બધા પાસાઓને ધ્યાને લઇ બાગાયતી ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. બાગાયતી ખેતી ખાસ કરીને ફૂલોની ખેતીમાં સારું મળતર રહેતું હોઈ તેનાં માટે ખેડૂત આઇ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી છુટા ફુલોની ખેતી યોજના માટે અરજી કરી હતી.

તેઓએ ૫૦ ગુંઠામાં ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. તહેવારોમાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે. આ સમયમાં ગલગોટાની માગ બજારમાં સારી હોવાથી રોકડા નાણાં મળે છે. ૫૦ ગુંઠાના વિસ્તારમાંથી રૂ. ૬૦,૦૦૦ની આવક મળશે, તેમ જણાવી તેમાંથી ખેતી ખર્ચ રૂ.૧૫૦૦૦ બાદ કરતા અંદાજે ચોખ્ખો નફો રૂ.૪૫,૦૦૦ જેટલો માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં થશે, તેવું જણાવ્યું હતું. તેમની બાગાયતી ખેતીના સફળ અનુભવ પછી તેમના ગામના અન્ય ખેડૂતો પણ બાગાયતી છુટા ફૂલોની ખેતી તરફ પ્રેરાયાં છે.

મહિસાગર જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના જણાવ્યાં અનુસાર, જિલ્લામાં ફૂલ પાકોનું વાવેતર ૨૧૫ હેક્ટરથી ૨૨૫ હેક્ટર સુધી થાય છે, જેમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, ગેલાડિયા વગેરે ફૂલપાકોનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જુદાં જુદાં ઘટકો જેવા કે દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટાફૂલોમાં ૨૫%થી માંડીને ૪૦% સુધીની સહાય આપવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution