લવ જેહાદ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુ..
15, જાન્યુઆરી 2021

અમદાવાદ-

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી લવ જેહાદનો કાયદો લાવવાની માંગ ઉઠી છે. આ મામલે ભાજપના અનેક નેતાઓ મુખ્યમંત્રીને પત્ર પણ લખી ચૂક્યા છે. ત્યારે લવ જેહાદ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે. શા માટે લવજેહાદ વિરોધી કાયદાઓની જરૂર પડે છે? શા માટે વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડી જાય છે. કેટલીક સંકુચિત માનસિકતા વાળા પોતાના ધર્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેવા દેવા માંગતા નથી, પણ આવું થવાનું નથી. ભગવા ઝંડાની આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા રહેશે. હજારો વર્ષોથી આ સંસ્કૃતિ ચાલતી આવી છે.

આ વિશે વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક વિધર્મી યુવાનો હિન્દુ છોકરીઓને ફોસલાવીને લગ્ન કરે છે અને સરકારના ધ્યાનમાં આવ્યા પ્રમાણે એ દીકરીઓ દુઃખી થાય છે. તેનાથી સમાજમાં પણ દુર્ભાવના ફેલાય છે. આવા લોકોના કારણે જુદા જુદા ધર્મ, સંપ્રદાય વચ્ચે અશાંતિ ફેલાય છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે આ અંગે કાયદો બનાવ્યો છે. આ પ્રમાણેનો કાયદો બનાવવા ગુજરાત સરકાર સમક્ષ અનેક વ્યક્તિઓ, સંગઠનોએ રજૂઆત કરી છે. બે રાજ્યોના કાયદાઓ, અસરકારતા અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં જરૂર પડે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution