જયપુર-

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટની બળવાખોર ટિપ્પણીને લઈને અશોક ગેહલોતની સરકાર સંકટોમાં ઘેરાઇ છે. એવા અહેવાલો છે કે પાઇલોટ ગેહલોતની સરકારને તોડીને પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે. રાજ્યમાં કોંગ્રેસના સત્તામાં આવતા સમયે પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ગેહલૌત સીએમ બન્યા. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વર્ષે માર્ચથી લઇને પાઇલટનો આ ત્રીજો પ્રયાસ છે, જ્યારે તેઓ ખુદ સરકારને પડતી મૂકીને મુખ્યમંત્રી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમગ્ર ખેચંતાણ વચ્ચે કોંગ્રેસ નેતા સંજય ઝાએ સચિન પાયલોટને પોતાનો ટેકો આપ્યો છે. પક્ષ વિરુદ્ધ લેખ લખ્યા બાદ જ ગયા મહિને ઝાને પ્રવક્તાના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સોમવારે એક ટ્વીટમાં તેણે સચિન પાયલોટની 'માંગ' ને ન્યાયીક માંગ બતાવી હતી અને પોતાનો ટેકો આપ્યો. તેમણે પાઇલોટની લાયકાત સાબિત કરવા માટે કેટલાક આંકડાઓ પણ રજૂ કર્યા.

ઝાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'હું સચિન પાયલોટનું સંપૂર્ણ સમર્થન કરું છું. આંકડા જુઓ-

રાજસ્થાન 2013 વિધાનસભાની ચૂંટણી, મુખ્યમંત્રી- અશોક ગેહલોત , ચૂંટણી પરિણામો - ભાજપ - 163 બેઠકો, કોંગ્રેસ - 21 (સૌથી ઓછી બેઠકો) રાજસ્થાન 2018 વિધાનસભાની ચૂંટણી ,પરિણામો - ભાજપ 73 બેઠકો, કોંગ્રેસ - 100 બેઠકો ,એક માણસે પાંચ વર્ષ સખત મહેનત કરી તે સચિન હતા પણ મુખ્યમંત્રી કોણ બન્યું? '