રાજકોટ, રાજકોટમાં આપના નેતાઓ પર થયેલા હુમલાને લઇને આપના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ત્યારે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. બીજી તરફ એનએસયુઆઇએ મનપાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વેક્સિન આપો નહિતર પરીક્ષા કેવી રીતે આપી શકશે.

આપે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળિયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને અન્ય પદાધિકારીઓ ઉપર સોમનાથ અને જૂનાગઢ ખાતે જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ઈટાળિયાના પરિવાર ઉપર જે રીતે હુમલો થયો તે ખૂબ જ નિંદનીય અને વખોડી નાખવા જેવી ઘટના બની હતી. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં લોકતંત્રની હત્યા કહેવાય. જ્યાં લોકોને પોતાના વિચારોના અભિવ્યક્તિ માટેના અધિકારો છીનવી લેવા માટે કેટલાક ગુંડા તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલા રોકવા અને સલામતી પુરી પાડવા માટે અને આવીનિંદનીય ઘટના અટકાવવા હેતુ ગુજરાતનાં તમામ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટ એનએસયુઆઇએ મનપાને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને વેક્સિન આપો તેવી માગ કરી છે.