આણંદ, તા.૨ 

આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા માટે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ દ્વારા જિલ્લાભરનાં વયોવૃદ્ધ નાગરિકોને માર્ગદર્શન અને આયુષ તેમજ હોમીયોપેથી દવાઓના વિતરણનું કામ ૧૭૨૮ જેટલાં યુવાનો લોકડાઉન અને અનલાકનાં ગાળામાં ઘર ઘર ફરી ને કરી રહ્યાં છે.

આ યુવાનોએ આજદિન સુધી જિલ્લામાં કુલ ૧.૮૦ લાખ ઉપરાંત વૃદ્ધ વડીલો તથા કોમોર્બિડ લોકોની રૂબરૂ મુલાકાત લઈને કોરોના અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. જિલ્લામાં કુલ ૧.૮ લાખ કરતાં વધુ લોકોને ઉકાળાનું વિતરણ, ૪૮ હજાર કરતાં વધુ લોકોને હોમીયોપેથીક આર્સેનિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૪૧૧ જેટલી જાહેર જગ્યાઓ (દૂધની ડેરી, બેન્ક, શાકમાર્કેટ વગેરે) ઉપર કુલ ૭૭૭ કોરોના યોદ્ધાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સની કામગીરીમાં સહાય કરવામાં આવી હતી. ૬૦૦ જેટલી અનાજની દુકાન ઉપર અત્યાર સુધી ૧૫૦૦ જેટલાં કોરોના યોદ્ધાઓએ સેવા આપી હતી. ૨૬૩ જેટલાં કોરોના યોદ્ધાઓએ ખુબ જ જરૂરમંદ હોય તેવાં ૧૭૬૬ પરિવાર સુધી પહોંચી સ્થાનિક સેવા સંસ્થા તથા તાલુકા અધિકારીના સંકલન દ્વારા અનાજની કિટ અપાવી હતી. લોકડાઉન દરમિયાન જિલ્લામાં ૨૯૦ કોરોના યોદ્ધાઓ દ્વારા કુલ ૮૮૬૬ જેટલાં લોકોને ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૧૦૦થી વધુ લોકોને ઈમરજન્સીમાં દવા પહોંચાડવા જેવી કામગીરી હાથ ધરાઈ હતી. લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૪૪૩૩ જરૂરતમંદ પરિવારોને શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી સામગ્રીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ પરિવારને ૧૦૦૦ની આર્થિક સહાયની કામગીરીમાં જે લાભાર્થીની બેન્ક ડિટેલ ખોટી હતી તેઓને શોધી તેમની માહિતીમાં સુધારો કરવામાં ૫૦ કોરોના યોદ્ધા દ્વારા ૪૦૦૦ જેટલાં લોકોને મદદ કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને ટ્રેન મારફતે પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી તે સમયે ૫૦ કોરોના યોદ્ધાઓએ આણંદ પ્રાંત અધિકારી અને આણંદ શહેર મામલતદાર ના માર્ગદર્શન હેઠળ  ટિકિટ વિતરણ, ફૂડ વિતરણ તથા સોશિયલ ડિસ્ટન્સની કામગીરી કરી હતી.સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર આણંદના યુવાનોએ કોરોનાના કપરા સમયમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અન્ય જરૂરિયાતમંદોને પરિવારના સભ્યો સમજી સાચા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી છે.