દિલ્હી-

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરીથી કેન્દ્ર સરકાર પર 2021-22ના બજેટ ઉપર નિશાન સાધ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે આ બજેટમાં માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'વડાપ્રધાન મોદીનું પુંજીપતિઓને કેન્દ્રિત બજેટ એટલે કે સંઘર્ષશીલ એમએસએમઇને ઓછા વ્યાજ પર લોન નહીં મળે અને જીએસટીમાં રાહત આપવામાં નહીં આવે.'

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાં મોટાભાગના લોકોને રોજગારી આપતા એમએસએમઇ ક્ષેત્રનો દગો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ બુધવારે સામાન્ય બજેટને 'એક ટકા લોકોનું બજેટ' ગણાવ્યું હતું અને સવાલ કર્યો હતો કે સંરક્ષણ ખર્ચમાં ધરખમ વધારો નહીં કરીને દેશ માટે શું કરવામાં આવ્યું હતું અને આવું કરવુ એ કંઇ  દેશભક્તિ છે?

તેમણે કહ્યું હતું કે, "અમારા જવાનોની પ્રતિબદ્ધતા 100 ટકા છે અને આ કિસ્સામાં સરકારની પ્રતિબદ્ધતા પણ 110 ટકા હોવી જોઈએ. આપણા સૈનિકોને જે જોઈએ છે, તે તે મળવું જોઈએ. આ દેશભક્તિ શું છે કે સેનાને પૈસા આપવામાં આવતા નથી? "