અમદાવાદ-

કોરોનાનું સંક્રમણ વધતા ફરી આર્યુવેદ અને હોમીઓપેથીની દવાઓની માંગમાં વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓની ૧૦૦ ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓની હાલ ૩૦ ટકા ડિમાન્ડ વધી છે. આયુર્વેદિક દવાઓ અને હોમીઓપેથીક દવાઓ સ્વાસ્થ્ય વર્ધક હોય છે. આયુર્વેદિક ઉકાળા શરીર રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા લોકો ફરી આર્યુવેદ અને હોમીઓપેથી દવા તરફ વળ્યા છે.

હાલમાં આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓની માંગ વધી છે. ગત વર્ષે કોરોના સંક્રમણ સમયે લોકોનો આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓ પર વિશ્વાસ વધ્યો હતો અને તેની ખૂબ જ વધુ માંગ વધી હતી. ઠેરઠેર લોકોને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં પણ આવતું હતું. પરંતુ જેમ જેમ થોડા સમય બાદ કોરોનાના કેસો ઘટતાં આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનો વપરાશ ઘટ્યો હતો. પરંતુ ફરી કોરોનાના કેસો વધતા આયુર્વેદિક અને હોમિયોપેથીની દવાની માગ વધી છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમીઓપેથીક ડો.પલ્લવ દેસાઈ જણાવે છે કે હાલ ફરી કેસ વધવા માંડ્યા છે. જેથી હોમીઓપેથીક અને આયુર્વેદ દવાઓમાં ૩૦ ટકા માંગ ફરી વધી છે. જેમાં ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીમાં આરસેનિકમ આલ્બમ ૩૦ ની ડિમાન્ડ વધી છે. આ દવાના ગત વર્ષે ૨ કરોડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ફરી ડિમાન્ડ વધતા ૩ લાખ પેકેટ દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ફરી અમારો સંપર્ક કરી રહી છે અને ઉકાળાના પેકેટ વિતરણ કરવા માટે માગણી કરી છે.

મહત્વનું છે કે ગત વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ હતા. હાલ ફરી એપ્રિલ શરુ થતા કેસમાં ધરખમ ઉછાળો આવતા સોસાયટીમાં આર્યુવેદીક ઉકાળા અને હોમીઓપેથીક દવાઓનું વિતરણ કરવાની તૈયારી થઈ રહી છે.