રાજ્યમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 40ડિગ્રી પાર પહોંચશે
24, માર્ચ 2021

ગાંધીનગર

ગુજરાતમાં કોરોના કહેરની ત્રીજી લહેર વચ્ચે અમદાવાદ અને રાજકોટમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં ચામડી બાળી નાંખે એવી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે હોળી પછી રાજ્યભરમાં ગરમી વધવા લાગે છે. વિતેલા દિવસોમાં પણ રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગરમીનો અહેસાસ થયો હતો. આશરે બે દિવસમાં ગુજરાતભરના તાપમાનમાં વધારો નોંધાશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવશે. હવામાન ખાતા મુજબ આગામી બે દિવસમાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે.

અમદાવાદની વાત કરીએ તો હાલમાં અહીંનું તાપમાન ૩૮ ડિગ્રી પર પહોંચી ગયું છે અને હવે અહીં ગરમીનો પારો ઉંચકાશે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો અહેસાસ થવા પામ્યો છે. લોકોમાં ગરમીથી રાહત આપતા સાધનોની ખરીદી શરુ કરી દેવામાં આવી છે. એસી કુલર અને પંખાનું માર્કેટનો ગ્રાફ પણ તાપમાનના પારાની જેમ ઉપર જઇ રહ્યો છે. લોકોમાં ગરમી સામે રાહત મેળવવા માટે એસી, કૂલરની ખરીદીના ટ્રેન્ડને લઇને સ્થાનિક માર્કેટ અને ઓનલાઇન શોપિંગ માર્કેટમાં પણ સ્કિમો આપવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. ગુજરાતના કેટલાક શહેરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે. જેના કારણે ગરમીના પ્રમાણમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, બે દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે. હાલ અમદાવાદમાં તાપમાન ૩૮ ડિગ્રી પર પહોંચ્યી ગયુ છે. હવામાન વિભાગના કહેવા મુજબ ચાર-પાંચ દિવસ સુધી હવામાનમાં કોઇ ખાસ બદલાવ થવાનો નથી. ક્યાંય વરસાદની પણ શક્યતા નથી. આ પછી તાપમાનનો પારો ઉંચકાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution