રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે રાજકોટ મનપામાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૂંટણીને લઇને મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં ગુજરાતમાં દિલ્હી મોડેલ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મેનિફેસ્ટોમાં સરકારી સ્કૂલોનું નવીનીકરણ, મહોલ્લા ક્લિનિક, વેરામાં ૫૦ ટકાની રાહત સહિત અલગ અલગ ૯ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ, આરોગ્ય, વેરો, પર્યાવરણ, પાર્કિંગ પરિવહન, જન સુવિધાઓ સહિત ૯ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને પણ હલ કરવાનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ ગેરન્ટી કાર્ડ સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને લોકોનું વિઝન છે તેનું ગેરેન્ટીના કાર્ડ સ્વરૂપે મીડિયાના માધ્યમથી જાહેર કર્યુ છે. પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સલાહ-સૂચનો મેળવીને અમે વાસ્તવિક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. અમે કોઇ મોટા વાયદાઓ કર્યા નથી. અજીત લોખીલે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીના કામને જાેઇને અમે મુદ્દાઓ જાહેર કર્યા છે. દિલ્હીમાં પાંચ વર્ષના શાસનમાં જે કરી બતાવ્યું તો બીજી તરફ કોર્પોરેશન અહીં ૧૫ વર્ષથી ભાજપ શાસિત છે. ૨૫ વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. તો અહીંયા કેમ ન થઇ શકે. દિલ્હીમાં જે કરીને બતાવ્યું છે તે જ અમે મેનિફેસ્ટોમાં આપ્યું છે.